સમજણના બે છેડા

June 28, 2026
આ વાત મેં મારા સંસ્કૃતના શિક્ષક પાસેથી સાંભળી હતી, એ હું અહી મૂકું છું. 

મારા દાદાના સમયની વાત છે. શુભ પ્રસંગે, અમારા ત્યાં જમણવાર રાખ્યો હતો ગામ આખાનો અને મિષ્ટાનમાં શ્રીખંડ રાખ્યો હતો, એ સમયે પુરા ગામને શ્રીખંડ ખવડાવવો એ બહુ મોટી વાત હતી. છેલ્લે જ્યારે મજૂરોના જમવાનો સમય આવ્યો ત્યારે શ્રીખંડ પતી ગયો. દાદાને કહેવું હતું કે, આખા ગામે શ્રીખંડ ખાધો તો પછી જેને આટલી બધી મહેનત કરી છે, એ મજૂરો કેમ બાકી રહી જાય. એટલે એમણે શહેરથી શ્રીખંડ લેવા માટે માણસો મોકલ્યા અને શ્રીખંડ મગાવ્યો. 

મજૂરો જમવા બેઠા અને એ લોકોને શ્રીખંડ આપવામાં આવ્યો. મજૂરો જમતાં-જમતાં બોલ્યા કે, “જોયું મહેમાનોને ગરમાગરમ શ્રીખંડ આપ્યો અને આપણને છેલ્લે ટાઢો શ્રીખંડ મળ્યો”. 

ત્યારે દાદા એ અંતે કીધું કે, આ લોકોને શ્રીખંડના સ્વાદની ખબર જ નથી, અને એમને ખાતા ખાતા શ્રીખંડના સ્વાદ વિષે ખબર પડશે તો ઠીક છે, બાકી પછી કોઈ આમને સમજાવી નહીં શકે કે, શ્રીખંડ ઠંડો જ હોય.

વાર્તાનો કસબ

June 27, 2026

વાર્તા લખવાના કોઈ નિયમો છે? હા, દસ હજાર ને દસ નિયમો છે. પણ જો તમારામાં તમપણું હોય, જો બહોળા વાચકસમૂહના હૃદય પર દીર્ઘકાળ રમતી કૃતિ તમારે આલેખવી હોય, તો કદાચ એ દસ હજાર ને દસ પૈકીનો એકેએક નિયમ તમારે તોડવો પડશે. 

દાખલા તરીકે, વાર્તાના ઘાટઘૂટ ('ફોર્મ)ની નિયમબંધી જાળવણી વિશે આપણને ચોખલિયાઓ ઘણું ઘણું સંભળાવે છે. હું પણ ‘ઘાટઘટ’ની જરૂરિયાતનો આગ્રહ રાખનાર છું. હું માનું છે કે, વાર્તાને ઘાટ અપાયો ન હોય તો એ મારી જાય છે. પાત્રોને એકવાર દાખલ કરીને પછી એને ન વાપરનાર વાર્તાકાર પર હું ચિડાઉં છું.  

ચોપડીના પૂર્વાર્ધમાં જ બધા જોરદાર પ્રસંગો આવી બેસે એવા પ્રકારનું સંયોજન કરનાર લેખકને હું અડબૂથ કહું છું. પોતાના પહેલા જ પ્રકરણમાં તત્ત્વજ્ઞાનની કે કોઈ સિદ્ધાંતની ચર્ચા કરનાર વાર્તાકાર પર હું બબડી ઊઠું છું.  

એટલે જ કોઈ વાર્તાકાર પોતાની વાર્તાના પ્રારંભમાં જ મુખ્ય પાત્રોનો સીધેસીધો પરિચય કરાવતો હોય છે, તેમજ તે પાત્રો આગળ ઉપરના કટોકટ પ્રસંગોમાં જે ભાગ ભજવવાનાં હોય છે તેનાં લઘુ સ્વરૂપો તેમને શરૂમાં ભજવતાં દેખાડે છે, ત્યારે હું પ્રસન્ન થાઉં છું કેમકે આ યુક્તિ વાચકોને એકદમ ઉત્કંઠ કરી તેમની નજર બાંધી લે છે.  

દાખલા તરીકે ટોમસ હાર્ડી હમેશાં પોતાનાં નવલોમાં એક જ સચોટ હીકમત વાપરે છે: એનાં પહેલાં પ્રકરણો ઘણુંખરું ખુલ્લા રસ્તા પરના જ કોઈ દૃશ્ય સાથે ઊઘડતાં હોય છે. ઉઘાડા આકાશ તળેનો એ રસ્તો આપણે નિહાળીએ છીએઃ ચોગમ વ્યાપેલી છે વિશાળ, મહાકાય અને અગોચર વ્યક્તિત્વવાળી જંગલી પ્રકૃતિઃ ધીમે ધીમે કોઈ દૂર દૂરની દૃષ્ટિ કિનારી પરથી માનવી ચાલ્યું આવે છે, એ એકલવાયું માનવ—પાત્ર આપણને પોતાના ઉઘાડ પામનારા જીવન—નાટકમાં એકદમ ઘસડી જાય છે. આજે આ હીકમત જૂની થઈ ગઈ હોવા છતાં આપણને લાગે છે કે હાર્ડીને ઘાટઘૂટની સુંદર દૃષ્ટિ હતી, એના અનેક દોષો છતાં હાર્ડી સાચો વાર્તાકાર હતો. 

ને સાચો વાર્તાકાર એટલે? એટલે એ લેખક કે જે પોતાના વાર્તાપ્રવાહની વચ્ચે પોતાના વિચારો, પોતાના મિજાજો, પોતાની ધૂનો, માન્યતાઓ તેમજ શેખીઓના ઘોડા સીધેસીધા કુદાવતો નથી. સાચો વાર્તાકાર એ, કે જે કદી દલીલો લડાવતો નથી, ઉપદેશ દેતો નથી; અરે, ચર્ચા પણ કરતો નથી.  

આ બધું બેશક એનામાં હોવું જોઈએ, ન હોય તો એને ગમાર જાણવો. પણ પોતાની વાર્તામાં એ બધાંને પેસાડતાં પહેલાં એણે તેમનું પ્રત્યક્ષ ઘટનાઓમાં રૂપાંતર કરી નાખવું જોઈએ. જીવનને વિશે જો તેની પાસે કોઈ સિદ્ધાંતો કે મંતવ્યો હોય, તો જીવન પોતે જેમ પોતાના નિયમોને ઘટનાઓરૂપે વ્યક્ત કરે છે તેમ વાર્તાકારે પણ તે મંતવ્યોને દૃષ્ટાંતોરૂપે જ વ્યક્ત કરવાં જોઈએ.  

દલીલોના કરતાં ઘટના (ભલેને કલાકારની ઉપજાવેલી) વધુ ચોટદાર છે. દલીલ એમાં પૂરેપૂરી ચવાઈને હજમ થઈ ગઈ હોય છે. વાર્તાના દેહમાં એનું રુધિર બનીને ઓતપ્રોત વહેવા લાગે છે. વાર્તાકાર વકીલ બનવાને બદલે સર્જક બની રહે છે. ને વકીલ કરતાં નિયંતા વધુ મહાન છે. વાર્તાકારનું એ બળ છે, એનું એ સ્થાન છે.  

દોસ્તોયેવ્સ્કી કેટલો બધો સિદ્ધાંતઅંધ અને વેદિયો આદમી હતો તેનો વિચાર કરો. એની મહાન વાર્તા 'બ્રધર્સ કારામાઝોવ’માં કેટલો રહસ્યવાદ અને કેટલી બધી ધાર્મિક વિચાર-જટિલતા એણે વણી દીધી છે એનો વિચાર કરો. કોઈ ઊતરતા કલાકારે આ બધી સામગ્રીનું કેવું ખીચડું બાફી માર્યું હોત! છતાં આ સાચા કસબી દોસ્તોયેવ્સ્કીએ એમાંથી 'દોન કિહોતે'ના જેટલી જ સીધી, સુગ્રાહ્ય, સચોટ વાર્તા કોતરી કાઢી છે. 

કારણ કે દોસ્તોયેવ્સ્કીમાં કલાકારપણું સર્વાગ્રે વિરાજે છે, બાકીનું બધું તે પછીનો દરજ્જો ભોગવે છે. બાકીનું બધું લેખકમાં હોવું તો જોઈએ અવશ્ય, નહિતર એ માનવ-પ્રાણી જ ન રહી શકે; ને એને એનું વ્યક્તિત્વ જ ન હોઈ શકે. ને લેખકની વાર્તામાં લેખકનું વ્યક્તિત્વ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે: માત્ર આડકતરી રીતે જ નહિ, એટલે કે વિષયની સામગ્રીની, વગેરેની પસંદગીમાં જ નહિ, પણ નિરૂપણની રીતિમાં, પ્રયોગોની પસંદગીમાં, અને વાતાવરણના સર્જનમાં સીધો ભાગ પણ લેખકનું વ્યક્તિત્વ બહુ મોટો ભજવે છે. 

રમતના નિયમો તો અરધા કલાકમાં જ શીખાય છે, પણ એ નિયમોને લાગુ પાડીને રમતાં શીખવામાં જિંદગી ખરચાય છે. એ જ સાચું છે વાર્તાલેખનને વિશે. વાર્તાનો ઘાટ આમ ઘડવો, એનો ઉઠાવ તેમ કરવો, વગેરે નિયમો હું ને તમે સહુ જાણીએ છીએ, જાણી શકીએ છીએ. પણ લખવાનું શીખતા આવરદા વીતે છે. 

દાખલા તરીકે ગ્રીક નાટ્યકારોના કાળથી નિયમ એવો ચાલ્યો આવે છે કે તમારાં પાત્રોને સતત ક્રિયાશીલ રાખો તેમજ એકબીજાથી સંકલિત રાખતા રહો, ને પરાકાષ્ટા આવે ત્યાં સુધી ઉત્તરોત્તર તેમની ક્રિયાને વધુ વધુ પ્રકાશિત કરતા રહો. પરાકાષ્ટા આવે, પાત્રો પૂરેપૂરા રજૂ થઈ જાય, એટલે પછી તો વાર્તાકારે વાર્તાને સમેટી લઈ, પાત્રોને એવા કોઈ ચલણી વાતાવરણમાં મૂકી દેવા કે જેમાં તેઓ વાર્તાની સમાપ્તિ પછી પોતાનું જીવન ચાલુ રાખે એવી આશા બાંધી શકાય. 

આ નિયમને તો આજે દરરોજ, અને દરએક પ્રકારે વાર્તાકારો ઉથાપી રહેલ છે. ઉથાપ્યા છતાંય તેઓ ઊગરી જાય છે. કારણ કે, કલામાં તો એક જ નિયમ સાચો છે: ‘ડઝ ઇટ કમ ઑફ? – બરાબર વહે છે પ્રવાહ?' ચોટ પકડે છે? અનેક નામાંકિત વાર્તાકારોએ નિયમોનાં જડ બંધનોને ફગાવી દેવાની ધૃષ્ટતા કરી છે. પણ એ ધૃષ્ટતાને તેમણે પાછી શોભાવી છે. નિયમની દુનિયાની બહાર નીકળીને સૌંદર્ય તેમજ નવીનતા પકડી લાવવાની તેમની શક્તિ હતી. 

છેલ્લાં પચ્ચીસ વર્ષથી તો સારી દુનિયાની વાર્તાસૃષ્ટિ પર આ બંડખોરોએ પોતાની નૂતન પૃદ્ધતિનો પ્રભાવ પાડી લીધો છે છતાં તેમના જેવી શક્તિ વગર તેમના સરખી ધૃષ્ટતા કરવા જનારા કેટલા બધા લેખકો ફસાઈ પડ્યા છે! 

[અધૂરું]
[જન્મભૂમિ]

🥀 કાઠીઓની ઘોડીનાં રૂપગુણ વર્ણવાય ત્યારે કહેવાય કે નાની એક થાળીમાં ય ઘોડી ચારે પગે રમી જાણે.  

સાહિત્યમાં નવલિકાનું—ટૂંકી વાર્તાનું—શ્રેષ્ઠ રૂપ આ કાઠીની ઘોડી સમું હોય. નાના એવા પ્રસંગને કૂંડાળે વાર્તા હળવે પગે રમણ કરે. 

 'ગુજરાત'નો માર્ચ અંક ‘એકલો’ નામની મુરલી ઠાકુરે લખેલી નવલિકા ધરે છે. સ્મશાનમાં એક મુર્દુ બાળી રહેલા ડાઘુઓના નાના—શા વાર્તાલાપમાં જ આખી નવલિકા રચાય છે. ને એના આખા ચિતારમાં જે પરિપૂર્ણતા સાધી શકાઈ છે તે વિરલછે. 

શબના રહ્યાસહ્યા અવશેષોને ‘નાખ થોડું ગ્યાસલેટ ને મૂક એક કાંડી!’ કહી ઝટ પતાવવા અધીર ડાઘુઓ જે નિર્મમ, ટીખળી ભાષામાં આ સળગતા જુવાનના ભગ્નાંશ સ્નેહની વાત કરે છે તેમાંથી જ એ સામાન્ય બની ગયેલ વિષયની માર્મિક કરુણતા ઊઠેછે. 

વિષયો કદી જૂના થતા નથી. જીવનની સમસ્યાઓ તો એ—ની એ જ હોય છે. નવીનતા રહેલી છે એના આયોજનમાં. સાથે ભણનારી કન્યાના સ્નેહમાં નિષ્ફળ બનેલો જુવાન લાગતું નથી કે બહુ બહુ આલેખાયો છે! છતાં આજે ચિતાને બાળવાની ક્રિયા કરતાં કરતાં નર્યા ઠેકડીભર્યા વાર્તાલાપમાં એનો ઉઠાવ થતા વિષયને કેટલી તાજગી મળી ગઈ! 

કથાનું કથન—સ્વરૂપ નવીનતા માગે છે. એકાદ આગગાડીની ટૂંકી મુસાફરીમાં, એકાદ મહેફિલમાં, એકાદ ચિતા પરનાં ટોળટપ્પામાં, અરે, એક આયરીશ લેખકે કરી દેખાડ્યું છે તેમ તો નદી કાંઠે કપડાં ધોતી બે ઓરતોની ગોઠડીમાં પણ નવલિકા પોતાની જાતને કંડારી લે છે. મસાણના વાર્તાલાપનો આ પ્રયોગ નવો જ છે. 

[બે ઘડી મોજ, 29-3-1936]

~ જન્મભૂમિમાં, ઝવેરચંદ મેઘાણી

પ્રારબ્ધ

June 26, 2026
એક સંત પાસે એક, વહાણવટું કરતા વેપારીભાઈ મળવા આવ્યા. વેપારીની સ્ટીમરો દેશ-પરદેશમાં ફરતી હતી. પણ મહાત્માને મળવા આવ્યા ત્યારે ધંધામાં ભારે ખોટ ગઈ હતી. સ્ટીમરો ડૂબી ગઈ હતી. માથે ખૂબ દેવું થઈ ગયું હતું. મહાત્મા પોતાની ગૂઢ શક્તિથી જોઈ શક્યા કે આના પ્રારબ્ધમાં હમણાં ખોટ જ છે. પાંચ-છ વર્ષ આવું જ ચાલશે. તેનાં પાપકર્મનો ઉદય થતો હતો. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ભાઈની પનોતી બેઠી હતી. છતાં મહાત્માએ કહ્યું કે જો ભાઈ હમણાં તારો સમય ખરાબ છે. પણ એક ઉપાય છે. જો આ સામે બેઠેલા ભાઈને તારા ધંધામાં ભાગીદાર બનાવે તો તારો ધંધો સારો ચાલવા માંડશે.
 
પેલા વેપારીએ મહાત્માની વાણીમાં શ્રદ્ધા રાખી, પેલા ભાઈને ભાગીદાર બનાવ્યા. આ બીજા ભાઈ પાસે પૈસા નહિ, છેવટે શુકનનો એક રૂપિયો લઈ સ્ટેમ્પ પેપર પર નક્કી કર્યું કે જે કંઈ નફો થાય તેમાં તમારો ભાગ ૨૫ ટકા રહેશે. હવે વેપારી ભાઈનો ધંધો તો ત્રણ વર્ષમાં ખૂબ જ સારો ચાલ્યો. બે-ત્રણ સ્ટીમરો ખરીદી, અઢળક પૈસા આવ્યા, પણ વેપારીભાઈને પેલો બીજો ભાગીદાર આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યો. થયું કે બધી મહેનત, શક્તિ મારી, જ્યારે આને તો બેઠાં બેઠાં જ ભાગ લેવાનો ! ભાગીદારીના લગભગ દોઢથી બે કરોડ ચૂકવવાના આવ્યા. અલબત્ત, પોતાને તો આનાથી ઘણો બધો નફો થયો હતો છતાં એક રૂપિયાના રોકાણના બદલામાં આટલા બધા રૂપિયા શી રીતે અપાય ? થયું કે મહાત્માજીએ મને ખોટે પાટે ચડાવી દીધો. ભાગીદારને રકમ ચૂકતે કરી ભાગીદારી નાબૂદ કરી દીધી, પણ વિધિની કરામત જુઓ. જે વેપાર સરસ ચાલતો હતો, જેમાં લાખોનું ભાડું મળતું હતું તેમાં તરત જ ખોટ આવી. બે મહિનાની અંદર એક સ્ટીમર અને બીજા બે મહિનામાં બીજી બે સ્ટીમરો ડૂબી ગઈ. વીમાનું પ્રિમિયમ પણ ભરાયું ન હતું.
 
હવે પેલા વેપારીભાઈ તો વળી પાછા સંતને મળવા આવ્યા. રોતાં-કકળતા કહ્યું કે બા૫જી આપના કહેવા પ્રમાણે કર્યું છતાં વેપારમાં તો પાછી ખોટ ઊભી છે. મહાત્માએ કહ્યું કે એ કેમ બને? પેલા બીજા ભાગીદારના નસીબમાં કરોડોની કમાણી છે, તમારા નસીબમાં અઢળક પુરુષાર્થનું બળ છે. મારી ગૂઢ શક્તિથી મેં તમારા બંનેનો સમન્વય કરાવી આપ્યો હતો એટલે આ વાત બને જ નહિ. અંતે વેપારીભાઈને પોતાની ભૂલ સમજાઈ. પેટછૂટી વાત સંતને કરી. સંતે કહ્યું કે 'સંશયાત્મા વિનશ્યતિ'.

~ આજ્ઞાચક્ર પુસ્તકમાંથી, લેખક વિભાકર આર. પંડયા  

કૃષ્ણ, ધર્મ, અને પ્રતિજ્ઞાભંગ

June 24, 2026

કૃષ્ણને ધર્મ સામેનું જોખમ પજવે છે એટલું પ્રતિજ્ઞા સામેનું કે નિયમ સામેનું જોખમ નથી પજવતું. કૃષ્ણને કોઈ પ્રતિજ્ઞા તૂટે કે નિયમ તૂટે તે સામે એટલો વાંધો નથી, જેટલો ધર્મ તૂટે તેની સામે છે. પ્રતિજ્ઞાભંગ ગૌણ છે અને નિયમભંગ પણ ગૌણ છે, પરંતુ ધર્મની ગ્લાનિ ગૌણ નથી. કૃષ્ણ આવા વ્યાપક ધર્મના સંરક્ષક (ધર્મગોપ્તા) હતા.

મહાભારત - માનવસ્વભાવનું મહાકાવ્ય પુસ્તકમાંથી, લેખક ગુણવંત શાહ

ધનની અચોક્કસતા અને એના નિવારણના ઉપાયો

June 12, 2026

ધનની અચોક્ક્સતાને દુર કરવાનો ઉપાય છે - દેણું ના કરવું અને બચત કરવી. દેણું ફક્ત બીજા પાસેથી પૈસા ઉછીના લેવાથી જ નથી થતું. ખોટું રોકાણ પણ તમને દેણાંદાર બનાવે છે. કેમકે, છેલ્લે તો એ તમારે માથે જ આવશે ને (જેમ દેણું માથે આવે એમ)! એટલે દેણું ના કરવામાં પૈસા ઉછીના ના લેવાની સાથે ખોટું રોકાણ ના કરવું એ પણ આવે છે.

બચત કરવામાં આવક નો એક હિસ્સો બચત રૂપે મુકવો એટલું જ નથી આવતું. આધુનિક સમયમાં બચતની પરિભાષા બદલવી પડશે. બચત કરવી એટલે આવક વધારવી પણ થાય. કેમ કે, બચતનું સમય સાથે અવમૂલ્ય થતું જાય છે એટલે આવક જ એને સરભર કરી શકે. કુલ આવકનો 10% હિસ્સો તો બચતમાં મુકવાનો જ છે પણ સાથે સાથે આવકના સ્ત્રોત પણ ઉભા કરવા રહ્યા.

આવકના સ્ત્રોત વધારવાથી અનિશ્ચિત્તતા અસરકારક રીતે દૂર થઇ શકે. પણ આવકના સ્ત્રોત વધારવામાં કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે.

  • આવકનો સ્ત્રોત વધારવામાં હદ કરતા વધુ રોકાણ ના કરવું, એનાથી ન ભરી શકાય એવું દેણું આવવાનો ડર રહે.
  • આવકનો સ્ત્રોત વધારવા જતા ક્યાંક મુખ્ય આવકના સ્ત્રોત વિષે બેધ્યાન ન થવું. એનાથી બીજી આવક તો આવતા આવશે પણ મુખ્ય આવક જવાની સંભાવના વધી જશે.
  • અનૈતિક(=unethical) આવક સંપૂર્ણપણે વિનાશક છે. એ તમને અને જે એ આવકનો ઉપયોગ કરશે એ બધાને અધોગતિ તરફ લઇ જશે.

બજારનું અને તમારી આસપાસનું યોગ્ય અને તલસ્પર્શી વિશ્લેષણ કરવાથી તમને બીજી આવકના સ્ત્રોત માટેના માર્ગો મળી શકે. વિશ્લેષણમાં સમસ્યાઓ પર વધુ ધ્યાન આપો. આ સમસ્યાઓનું સમાધાન જ તમારી આવકનો બીજો સ્ત્રોત બની શકે. સમસ્યાના સમાધાનને પહેલા સમાધાન તરીકે જ મુલવો અને પછી એમાં આવકની ગણતરી કરવી. આમ કરવાથી, ખોટા રોકાણથી બચી શકાય. કેમ કે, કેટલીક સમસ્યાઓનું સમાધાન/નિરાકરણ વગર પૈસે પણ થઇ શકે છે. 

સમસ્યાઓના નિવારણના એક કરતા વધુ રસ્તાઓ છે. તો સમસ્યાને એક દિશાએથી ના વીંધતા અલગ અલગ દિશાઓથી નિવારણના ઘા મારી શકાય છે. જેમકે, GMDC વિસ્તારમાં શુદ્ધ હવાને લગતી સમસ્યાઓ છે. એનો ઉપાય છે, કે તમે ત્યાં શુદ્ધ હવા વેચો. પણ, આ બાલિશ વિચાર છે. કેમ કે, બોટલમાં કોઈ હવા નહિ ખરીદે. તો તમે ત્યાં સુગંધિત પદાર્થ વેચી શકો જે હવાની દુર્ગંધને દૂર કરી શકે. અથવા તો કારખાનાને હવા ખેંચનાર વિશાળ પંખા વેચી શકો જે હવાને ખેંચે. અથવા તો ચીમની માટે જ એવો પદાર્થ વેચો કે જ ધુમાડો બહાર ન આવવા દે. તો આ સમસ્યા લોકોની હતી પણ એનું નિરાકરણ બંને બાજુથી વિચારી શકાય - એ કે જેને સમસ્યા છે, અને એ કે જે સમસ્યાનો સ્ત્રોત છે.

આ ઉપરાંત જયારે તમારા વિચારો આવકના સ્ત્રોત વિશે સતત ચાલુ રહે છે, ત્યારે આકર્ષણના સિદ્ધાંત મુજબ તમને એના માર્ગો આપોઆપ મળી આવશે અથવા તો તમને એવા લોકો મળશે જેની પાસે માર્ગ હોય અને તમારી મદદ ઇચ્છતા હોય. અહીં, આગળ-પાછળનો વિચાર કરીને હા/ના પાડી શકાય. આ ઉપરાંત, તમારા વિચારો ઉપર પણ ધ્યાન રાખવું જરૂરી છે. કેમ કે, જયારે તમે વગર મહેનતની આવક વિષે વિચારતા હશો ત્યારે તમને એવા લોકો મળશે જેમને પણ એવી આવકની ઈચ્છા હોય અથવા જો તમે જલ્દી(=shortcut)થી કમાવા ઇચ્છતા હોય તો તમને એવા લોકો મળશે જેમને પણ એવી રીતથી જ પૈસા કમાવા હોય. અને અંતે જયારે તમે આગળ/પાછળનો વિચાર કર્યા વગર ફક્ત આવક ના સ્ત્રોત વિષે જ વિચાર અને સતત ચિંતન ચાલુ હોય તો તમને ધુતારા પણ મળી શકે.

જો આવકના સ્ત્રોતનો કોઈ એક માર્ગ મળે એમ ના હોયતો એક કરતા વધુ માર્ગ પણ વિચારી શકાય અને એ માર્ગોની અજમાયશ પણ કરી શકાય એમ કરવાથી સફળ થવાની તકો વધશે. અહીં ફરીથી એ ધ્યાન રાખવું ઘટે કે રોકાણ વધુ ના થઇ જાય.

એવા ઘણા કામ છે જે આપણને ખબર છે કે, લાંબા ગાળા સુધી કરી શકાશે નહિ. આ પરિસ્થિતિમાં એવું વિચારવું રહ્યું કે, કેમનું આગળ વધવું. કોઈક વાર એવું પણ બને કે એ કામ આપણે કરવું પડે જેથી એમાંથી થતી આવકનો ભવિષ્યમાં આપણે જે બીજા કામ કરવા ઇચ્છીએ છીએ એમાં રોકાણ કરી શકીએ. ફરીથી અહીં એ ખાસ ધ્યાન રાખવું કે, એ ટૂંકા ગાળાની આવક ખોટા રસ્તેથી ના આવતી હોય.

અંતે બે બાબતોનો ઉલ્લેખ સાથે આ લેખને અલ્પવિરામ રાખીએ.

એક, આવકનો સ્ત્રોત નક્કી થયા બાદ જયારે નફાની ગણતરી કરવામાં આવે ત્યારે એ  વાજબી હોવી જોઈએ. જો તમે કોઈ એક વસ્તુ ઉપર 22% નફફો રાખો છો તો એ 22% વાજબી હોવા જોઈએ, એની પ્રમાણમાં મહેનત હોવી જોઈએ, એના પ્રમાણમાં રોકાણ હોવું જોઈએ, એના પ્રમાણમાં જોખમ હોવું જોઈએ. જો એ વાજબી નથી તો એ આવકનો અમુક ભાગ વગર મહેનતનો છે.

બીજું, પહેલાના સમયમાં આવકના 4 ભાગ પાડવામાં આવતા - 25% ભાગની બચત, 25% ભાગ વાપરવાનો, 25% કરમાં, અને 25% લોકકલ્યાણમાં. પણ આધુનિક સમયમાં આ શક્ય નથી. મુડીવાદે પરિસ્થિતિ ઘણી જટિલ બનાવી દીધી છે. તો પણ 10% લોકકલ્યાણમાં વાપરવું. કેમકે જે તમારી આવક છે, એ ફક્ત તમારી જ નથી. તમે જે જગ્યાએ કારખાનું નાખ્યું છે તે પેલાં ઘણા બધા જીવજંતુનું અને પ્રાણીઓનું ઘર હતું. પ્રાયશ્ચિત સાથે જે સેવા થઇ શકે એ કરવી ઘટે. બાકીતો આ ન દેખાય એવું દેણું જ છે, જે તમારે ઘણા જન્મ સુધી વેઠવું પડશે.

સિંહાસનારૂઢ અન્યાય

June 09, 2026

કૃષ્ણ: "પણ અન્યાયને સિંહાસન-ચ્યુત કરો ત્યારે તે અટકશે, અન્યાયને પંપાળવાથી નહીં. દુર્યોધન જેવા દુર્જનો જગતમાં ઘણાય છે પણ તે સિંહાસને નથી તેથી તેમનાથી જગતના અનાથોને અન્યાય થઈ શકતો નથી. આ અન્યાય સિંહાસનારૂઢ છે. નથી તે ભીષ્મને ગાંઠતો, નથી દ્રોણને સાંભળતો. ગાંધારીની પ્રાર્થના તો તેના કાનને પણ પહોંચતી નથી તો મારી શી વાત! તે દહાડે કૃષ્ણાની લજ્જાનું રક્ષણ ભીષ્મ, દ્રોણ, વિદુર કરી શક્યા નહીં, ધન્ય છે તે ન્યાયનિષ્ઠ સત્પરાયણ ગાંધારીને. એણે સંતાનને જ ત્યજવાનું કહ્યું પણ ત્યાં સભા સૂનમૂન રહી. એને આપણે નહીં બચાવી શકીએ." 

~ કુરુક્ષેત્ર પુસ્તકમાંથી, લેખક: મનુભાઈ પંચોળી 'દર્શક'

આજનો શબ્દ: નવેણ

June 02, 2026

નવેણના ઘણા બધા અર્થો છે, પણ એમનો એક અર્થ છે - જ્યાં નાહ્યા ધોયા વગર જઈ ન શકાય એવી જગ્યા. તો તમે પૂજા ઘરને અથવાતો મંદિરને પણ નવેણ કહી શકો. પણ, આ શબ્દ રસોડા સાથે વધુ વપરાય છે. તો તમે રસોડાને બદલે એને નવેણ પણ કહી શકો.

કાવ્યાનુભવ

June 01, 2026

“કાવ્યાનુભવ લઈ લીધા પછી ભાવક પાછો વ્યવહાર—જગતમાં આવે છે ત્યારે, કાવ્યનો અનુભવ સાથે લઈને આવે છે. તેના પૂર્વના અનુભવમાં કાવ્યનો અનુભવ ઉમેરાય છે, તેની સાથે એકરસ થઈ જાય છે, પરિણામે ભાવક વ્યવહાર—જગતનો અનુભવ પણ કંઈક વધારે રહસ્યપૂર્વક કરતાં શીખે છે. જગતને સમજવાની તેની શક્તિ વધેલી છે. કાવ્યથી તે વધારે સંસ્કારી થયો છે.” - શ્રી રામનારાયણ વિ. પાઠક

~ તર્કબદ્ધ પૃથક્કરણશીલતા વિવેચનની વિઘાતક? લેખ જન્મભૂમિમાં, ઝવેરચંદ મેઘાણી