ધનની અચોક્ક્સતાને દુર કરવાનો ઉપાય છે - દેણું ના કરવું અને બચત કરવી. દેણું ફક્ત બીજા પાસેથી પૈસા ઉછીના લેવાથી જ નથી થતું. ખોટું રોકાણ પણ તમને દેણાંદાર બનાવે છે. કેમકે, છેલ્લે તો એ તમારે માથે જ આવશે ને (જેમ દેણું માથે આવે એમ)! એટલે દેણું ના કરવામાં પૈસા ઉછીના ના લેવાની સાથે ખોટું રોકાણ ના કરવું એ પણ આવે છે.
બચત કરવામાં આવક નો એક હિસ્સો બચત રૂપે મુકવો એટલું જ નથી આવતું. આધુનિક સમયમાં બચતની પરિભાષા બદલવી પડશે. બચત કરવી એટલે આવક વધારવી પણ થાય. કેમ કે, બચતનું સમય સાથે અવમૂલ્ય થતું જાય છે એટલે આવક જ એને સરભર કરી શકે. કુલ આવકનો 10% હિસ્સો તો બચતમાં મુકવાનો જ છે પણ સાથે સાથે આવકના સ્ત્રોત પણ ઉભા કરવા રહ્યા.
આવકના સ્ત્રોત વધારવાથી અનિશ્ચિત્તતા અસરકારક રીતે દૂર થઇ શકે. પણ આવકના સ્ત્રોત વધારવામાં કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે.
- આવકનો સ્ત્રોત વધારવામાં હદ કરતા વધુ રોકાણ ના કરવું, એનાથી ન ભરી શકાય એવું દેણું આવવાનો ડર રહે.
- આવકનો સ્ત્રોત વધારવા જતા ક્યાંક મુખ્ય આવકના સ્ત્રોત વિષે બેધ્યાન ન થવું. એનાથી બીજી આવક તો આવતા આવશે પણ મુખ્ય આવક જવાની સંભાવના વધી જશે.
- અનૈતિક(=unethical) આવક સંપૂર્ણપણે વિનાશક છે. એ તમને અને જે એ આવકનો ઉપયોગ કરશે એ બધાને અધોગતિ તરફ લઇ જશે.
બજારનું અને તમારી આસપાસનું યોગ્ય અને તલસ્પર્શી વિશ્લેષણ કરવાથી તમને બીજી આવકના સ્ત્રોત માટેના માર્ગો મળી શકે. વિશ્લેષણમાં સમસ્યાઓ પર વધુ ધ્યાન આપો. આ સમસ્યાઓનું સમાધાન જ તમારી આવકનો બીજો સ્ત્રોત બની શકે. સમસ્યાના સમાધાનને પહેલા સમાધાન તરીકે જ મુલવો અને પછી એમાં આવકની ગણતરી કરવી. આમ કરવાથી, ખોટા રોકાણથી બચી શકાય. કેમ કે, કેટલીક સમસ્યાઓનું સમાધાન/નિરાકરણ વગર પૈસે પણ થઇ શકે છે.
સમસ્યાઓના નિવારણના એક કરતા વધુ રસ્તાઓ છે. તો સમસ્યાને એક દિશાએથી ના વીંધતા અલગ અલગ દિશાઓથી નિવારણના ઘા મારી શકાય છે. જેમકે, GMDC વિસ્તારમાં શુદ્ધ હવાને લગતી સમસ્યાઓ છે. એનો ઉપાય છે, કે તમે ત્યાં શુદ્ધ હવા વેચો. પણ, આ બાલિશ વિચાર છે. કેમ કે, બોટલમાં કોઈ હવા નહિ ખરીદે. તો તમે ત્યાં સુગંધિત પદાર્થ વેચી શકો જે હવાની દુર્ગંધને દૂર કરી શકે. અથવા તો કારખાનાને હવા ખેંચનાર વિશાળ પંખા વેચી શકો જે હવાને ખેંચે. અથવા તો ચીમની માટે જ એવો પદાર્થ વેચો કે જ ધુમાડો બહાર ન આવવા દે. તો આ સમસ્યા લોકોની હતી પણ એનું નિરાકરણ બંને બાજુથી વિચારી શકાય - એ કે જેને સમસ્યા છે, અને એ કે જે સમસ્યાનો સ્ત્રોત છે.
આ ઉપરાંત જયારે તમારા વિચારો આવકના સ્ત્રોત વિશે સતત ચાલુ રહે છે, ત્યારે આકર્ષણના સિદ્ધાંત મુજબ તમને એના માર્ગો આપોઆપ મળી આવશે અથવા તો તમને એવા લોકો મળશે જેની પાસે માર્ગ હોય અને તમારી મદદ ઇચ્છતા હોય. અહીં, આગળ-પાછળનો વિચાર કરીને હા/ના પાડી શકાય. આ ઉપરાંત, તમારા વિચારો ઉપર પણ ધ્યાન રાખવું જરૂરી છે. કેમ કે, જયારે તમે વગર મહેનતની આવક વિષે વિચારતા હશો ત્યારે તમને એવા લોકો મળશે જેમને પણ એવી આવકની ઈચ્છા હોય અથવા જો તમે જલ્દી(=shortcut)થી કમાવા ઇચ્છતા હોય તો તમને એવા લોકો મળશે જેમને પણ એવી રીતથી જ પૈસા કમાવા હોય. અને અંતે જયારે તમે આગળ/પાછળનો વિચાર કર્યા વગર ફક્ત આવક ના સ્ત્રોત વિષે જ વિચાર અને સતત ચિંતન ચાલુ હોય તો તમને ધુતારા પણ મળી શકે.
જો આવકના સ્ત્રોતનો કોઈ એક માર્ગ મળે એમ ના હોયતો એક કરતા વધુ માર્ગ પણ વિચારી શકાય અને એ માર્ગોની અજમાયશ પણ કરી શકાય એમ કરવાથી સફળ થવાની તકો વધશે. અહીં ફરીથી એ ધ્યાન રાખવું ઘટે કે રોકાણ વધુ ના થઇ જાય.
એવા ઘણા કામ છે જે આપણને ખબર છે કે, લાંબા ગાળા સુધી કરી શકાશે નહિ. આ પરિસ્થિતિમાં એવું વિચારવું રહ્યું કે, કેમનું આગળ વધવું. કોઈક વાર એવું પણ બને કે એ કામ આપણે કરવું પડે જેથી એમાંથી થતી આવકનો ભવિષ્યમાં આપણે જે બીજા કામ કરવા ઇચ્છીએ છીએ એમાં રોકાણ કરી શકીએ. ફરીથી અહીં એ ખાસ ધ્યાન રાખવું કે, એ ટૂંકા ગાળાની આવક ખોટા રસ્તેથી ના આવતી હોય.
અંતે બે બાબતોનો ઉલ્લેખ સાથે આ લેખને અલ્પવિરામ રાખીએ.
એક, આવકનો સ્ત્રોત નક્કી થયા બાદ જયારે નફાની ગણતરી કરવામાં આવે ત્યારે એ વાજબી હોવી જોઈએ. જો તમે કોઈ એક વસ્તુ ઉપર 22% નફફો રાખો છો તો એ 22% વાજબી હોવા જોઈએ, એની પ્રમાણમાં મહેનત હોવી જોઈએ, એના પ્રમાણમાં રોકાણ હોવું જોઈએ, એના પ્રમાણમાં જોખમ હોવું જોઈએ. જો એ વાજબી નથી તો એ આવકનો અમુક ભાગ વગર મહેનતનો છે.
બીજું, પહેલાના સમયમાં આવકના 4 ભાગ પાડવામાં આવતા - 25% ભાગની બચત, 25% ભાગ વાપરવાનો, 25% કરમાં, અને 25% લોકકલ્યાણમાં. પણ આધુનિક સમયમાં આ શક્ય નથી. મુડીવાદે પરિસ્થિતિ ઘણી જટિલ બનાવી દીધી છે. તો પણ 10% લોકકલ્યાણમાં વાપરવું. કેમકે જે તમારી આવક છે, એ ફક્ત તમારી જ નથી. તમે જે જગ્યાએ કારખાનું નાખ્યું છે તે પેલાં ઘણા બધા જીવજંતુનું અને પ્રાણીઓનું ઘર હતું. પ્રાયશ્ચિત સાથે જે સેવા થઇ શકે એ કરવી ઘટે. બાકીતો આ ન દેખાય એવું દેણું જ છે, જે તમારે ઘણા જન્મ સુધી વેઠવું પડશે.
No comments:
Post a Comment