વાર્તાનો કસબ

June 27, 2026

વાર્તા લખવાના કોઈ નિયમો છે? હા, દસ હજાર ને દસ નિયમો છે. પણ જો તમારામાં તમપણું હોય, જો બહોળા વાચકસમૂહના હૃદય પર દીર્ઘકાળ રમતી કૃતિ તમારે આલેખવી હોય, તો કદાચ એ દસ હજાર ને દસ પૈકીનો એકેએક નિયમ તમારે તોડવો પડશે. 

દાખલા તરીકે, વાર્તાના ઘાટઘૂટ ('ફોર્મ)ની નિયમબંધી જાળવણી વિશે આપણને ચોખલિયાઓ ઘણું ઘણું સંભળાવે છે. હું પણ ‘ઘાટઘટ’ની જરૂરિયાતનો આગ્રહ રાખનાર છું. હું માનું છે કે, વાર્તાને ઘાટ અપાયો ન હોય તો એ મારી જાય છે. પાત્રોને એકવાર દાખલ કરીને પછી એને ન વાપરનાર વાર્તાકાર પર હું ચિડાઉં છું.  

ચોપડીના પૂર્વાર્ધમાં જ બધા જોરદાર પ્રસંગો આવી બેસે એવા પ્રકારનું સંયોજન કરનાર લેખકને હું અડબૂથ કહું છું. પોતાના પહેલા જ પ્રકરણમાં તત્ત્વજ્ઞાનની કે કોઈ સિદ્ધાંતની ચર્ચા કરનાર વાર્તાકાર પર હું બબડી ઊઠું છું.  

એટલે જ કોઈ વાર્તાકાર પોતાની વાર્તાના પ્રારંભમાં જ મુખ્ય પાત્રોનો સીધેસીધો પરિચય કરાવતો હોય છે, તેમજ તે પાત્રો આગળ ઉપરના કટોકટ પ્રસંગોમાં જે ભાગ ભજવવાનાં હોય છે તેનાં લઘુ સ્વરૂપો તેમને શરૂમાં ભજવતાં દેખાડે છે, ત્યારે હું પ્રસન્ન થાઉં છું કેમકે આ યુક્તિ વાચકોને એકદમ ઉત્કંઠ કરી તેમની નજર બાંધી લે છે.  

દાખલા તરીકે ટોમસ હાર્ડી હમેશાં પોતાનાં નવલોમાં એક જ સચોટ હીકમત વાપરે છે: એનાં પહેલાં પ્રકરણો ઘણુંખરું ખુલ્લા રસ્તા પરના જ કોઈ દૃશ્ય સાથે ઊઘડતાં હોય છે. ઉઘાડા આકાશ તળેનો એ રસ્તો આપણે નિહાળીએ છીએઃ ચોગમ વ્યાપેલી છે વિશાળ, મહાકાય અને અગોચર વ્યક્તિત્વવાળી જંગલી પ્રકૃતિઃ ધીમે ધીમે કોઈ દૂર દૂરની દૃષ્ટિ કિનારી પરથી માનવી ચાલ્યું આવે છે, એ એકલવાયું માનવ—પાત્ર આપણને પોતાના ઉઘાડ પામનારા જીવન—નાટકમાં એકદમ ઘસડી જાય છે. આજે આ હીકમત જૂની થઈ ગઈ હોવા છતાં આપણને લાગે છે કે હાર્ડીને ઘાટઘૂટની સુંદર દૃષ્ટિ હતી, એના અનેક દોષો છતાં હાર્ડી સાચો વાર્તાકાર હતો. 

ને સાચો વાર્તાકાર એટલે? એટલે એ લેખક કે જે પોતાના વાર્તાપ્રવાહની વચ્ચે પોતાના વિચારો, પોતાના મિજાજો, પોતાની ધૂનો, માન્યતાઓ તેમજ શેખીઓના ઘોડા સીધેસીધા કુદાવતો નથી. સાચો વાર્તાકાર એ, કે જે કદી દલીલો લડાવતો નથી, ઉપદેશ દેતો નથી; અરે, ચર્ચા પણ કરતો નથી.  

આ બધું બેશક એનામાં હોવું જોઈએ, ન હોય તો એને ગમાર જાણવો. પણ પોતાની વાર્તામાં એ બધાંને પેસાડતાં પહેલાં એણે તેમનું પ્રત્યક્ષ ઘટનાઓમાં રૂપાંતર કરી નાખવું જોઈએ. જીવનને વિશે જો તેની પાસે કોઈ સિદ્ધાંતો કે મંતવ્યો હોય, તો જીવન પોતે જેમ પોતાના નિયમોને ઘટનાઓરૂપે વ્યક્ત કરે છે તેમ વાર્તાકારે પણ તે મંતવ્યોને દૃષ્ટાંતોરૂપે જ વ્યક્ત કરવાં જોઈએ.  

દલીલોના કરતાં ઘટના (ભલેને કલાકારની ઉપજાવેલી) વધુ ચોટદાર છે. દલીલ એમાં પૂરેપૂરી ચવાઈને હજમ થઈ ગઈ હોય છે. વાર્તાના દેહમાં એનું રુધિર બનીને ઓતપ્રોત વહેવા લાગે છે. વાર્તાકાર વકીલ બનવાને બદલે સર્જક બની રહે છે. ને વકીલ કરતાં નિયંતા વધુ મહાન છે. વાર્તાકારનું એ બળ છે, એનું એ સ્થાન છે.  

દોસ્તોયેવ્સ્કી કેટલો બધો સિદ્ધાંતઅંધ અને વેદિયો આદમી હતો તેનો વિચાર કરો. એની મહાન વાર્તા 'બ્રધર્સ કારામાઝોવ’માં કેટલો રહસ્યવાદ અને કેટલી બધી ધાર્મિક વિચાર-જટિલતા એણે વણી દીધી છે એનો વિચાર કરો. કોઈ ઊતરતા કલાકારે આ બધી સામગ્રીનું કેવું ખીચડું બાફી માર્યું હોત! છતાં આ સાચા કસબી દોસ્તોયેવ્સ્કીએ એમાંથી 'દોન કિહોતે'ના જેટલી જ સીધી, સુગ્રાહ્ય, સચોટ વાર્તા કોતરી કાઢી છે. 

કારણ કે દોસ્તોયેવ્સ્કીમાં કલાકારપણું સર્વાગ્રે વિરાજે છે, બાકીનું બધું તે પછીનો દરજ્જો ભોગવે છે. બાકીનું બધું લેખકમાં હોવું તો જોઈએ અવશ્ય, નહિતર એ માનવ-પ્રાણી જ ન રહી શકે; ને એને એનું વ્યક્તિત્વ જ ન હોઈ શકે. ને લેખકની વાર્તામાં લેખકનું વ્યક્તિત્વ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે: માત્ર આડકતરી રીતે જ નહિ, એટલે કે વિષયની સામગ્રીની, વગેરેની પસંદગીમાં જ નહિ, પણ નિરૂપણની રીતિમાં, પ્રયોગોની પસંદગીમાં, અને વાતાવરણના સર્જનમાં સીધો ભાગ પણ લેખકનું વ્યક્તિત્વ બહુ મોટો ભજવે છે. 

રમતના નિયમો તો અરધા કલાકમાં જ શીખાય છે, પણ એ નિયમોને લાગુ પાડીને રમતાં શીખવામાં જિંદગી ખરચાય છે. એ જ સાચું છે વાર્તાલેખનને વિશે. વાર્તાનો ઘાટ આમ ઘડવો, એનો ઉઠાવ તેમ કરવો, વગેરે નિયમો હું ને તમે સહુ જાણીએ છીએ, જાણી શકીએ છીએ. પણ લખવાનું શીખતા આવરદા વીતે છે. 

દાખલા તરીકે ગ્રીક નાટ્યકારોના કાળથી નિયમ એવો ચાલ્યો આવે છે કે તમારાં પાત્રોને સતત ક્રિયાશીલ રાખો તેમજ એકબીજાથી સંકલિત રાખતા રહો, ને પરાકાષ્ટા આવે ત્યાં સુધી ઉત્તરોત્તર તેમની ક્રિયાને વધુ વધુ પ્રકાશિત કરતા રહો. પરાકાષ્ટા આવે, પાત્રો પૂરેપૂરા રજૂ થઈ જાય, એટલે પછી તો વાર્તાકારે વાર્તાને સમેટી લઈ, પાત્રોને એવા કોઈ ચલણી વાતાવરણમાં મૂકી દેવા કે જેમાં તેઓ વાર્તાની સમાપ્તિ પછી પોતાનું જીવન ચાલુ રાખે એવી આશા બાંધી શકાય. 

આ નિયમને તો આજે દરરોજ, અને દરએક પ્રકારે વાર્તાકારો ઉથાપી રહેલ છે. ઉથાપ્યા છતાંય તેઓ ઊગરી જાય છે. કારણ કે, કલામાં તો એક જ નિયમ સાચો છે: ‘ડઝ ઇટ કમ ઑફ? – બરાબર વહે છે પ્રવાહ?' ચોટ પકડે છે? અનેક નામાંકિત વાર્તાકારોએ નિયમોનાં જડ બંધનોને ફગાવી દેવાની ધૃષ્ટતા કરી છે. પણ એ ધૃષ્ટતાને તેમણે પાછી શોભાવી છે. નિયમની દુનિયાની બહાર નીકળીને સૌંદર્ય તેમજ નવીનતા પકડી લાવવાની તેમની શક્તિ હતી. 

છેલ્લાં પચ્ચીસ વર્ષથી તો સારી દુનિયાની વાર્તાસૃષ્ટિ પર આ બંડખોરોએ પોતાની નૂતન પૃદ્ધતિનો પ્રભાવ પાડી લીધો છે છતાં તેમના જેવી શક્તિ વગર તેમના સરખી ધૃષ્ટતા કરવા જનારા કેટલા બધા લેખકો ફસાઈ પડ્યા છે! 

[અધૂરું]
[જન્મભૂમિ]

🥀 કાઠીઓની ઘોડીનાં રૂપગુણ વર્ણવાય ત્યારે કહેવાય કે નાની એક થાળીમાં ય ઘોડી ચારે પગે રમી જાણે.  

સાહિત્યમાં નવલિકાનું—ટૂંકી વાર્તાનું—શ્રેષ્ઠ રૂપ આ કાઠીની ઘોડી સમું હોય. નાના એવા પ્રસંગને કૂંડાળે વાર્તા હળવે પગે રમણ કરે. 

 'ગુજરાત'નો માર્ચ અંક ‘એકલો’ નામની મુરલી ઠાકુરે લખેલી નવલિકા ધરે છે. સ્મશાનમાં એક મુર્દુ બાળી રહેલા ડાઘુઓના નાના—શા વાર્તાલાપમાં જ આખી નવલિકા રચાય છે. ને એના આખા ચિતારમાં જે પરિપૂર્ણતા સાધી શકાઈ છે તે વિરલછે. 

શબના રહ્યાસહ્યા અવશેષોને ‘નાખ થોડું ગ્યાસલેટ ને મૂક એક કાંડી!’ કહી ઝટ પતાવવા અધીર ડાઘુઓ જે નિર્મમ, ટીખળી ભાષામાં આ સળગતા જુવાનના ભગ્નાંશ સ્નેહની વાત કરે છે તેમાંથી જ એ સામાન્ય બની ગયેલ વિષયની માર્મિક કરુણતા ઊઠેછે. 

વિષયો કદી જૂના થતા નથી. જીવનની સમસ્યાઓ તો એ—ની એ જ હોય છે. નવીનતા રહેલી છે એના આયોજનમાં. સાથે ભણનારી કન્યાના સ્નેહમાં નિષ્ફળ બનેલો જુવાન લાગતું નથી કે બહુ બહુ આલેખાયો છે! છતાં આજે ચિતાને બાળવાની ક્રિયા કરતાં કરતાં નર્યા ઠેકડીભર્યા વાર્તાલાપમાં એનો ઉઠાવ થતા વિષયને કેટલી તાજગી મળી ગઈ! 

કથાનું કથન—સ્વરૂપ નવીનતા માગે છે. એકાદ આગગાડીની ટૂંકી મુસાફરીમાં, એકાદ મહેફિલમાં, એકાદ ચિતા પરનાં ટોળટપ્પામાં, અરે, એક આયરીશ લેખકે કરી દેખાડ્યું છે તેમ તો નદી કાંઠે કપડાં ધોતી બે ઓરતોની ગોઠડીમાં પણ નવલિકા પોતાની જાતને કંડારી લે છે. મસાણના વાર્તાલાપનો આ પ્રયોગ નવો જ છે. 

[બે ઘડી મોજ, 29-3-1936]

~ જન્મભૂમિમાં, ઝવેરચંદ મેઘાણી

No comments:

Post a Comment