પ્રારબ્ધ

June 26, 2026
એક સંત પાસે એક, વહાણવટું કરતા વેપારીભાઈ મળવા આવ્યા. વેપારીની સ્ટીમરો દેશ-પરદેશમાં ફરતી હતી. પણ મહાત્માને મળવા આવ્યા ત્યારે ધંધામાં ભારે ખોટ ગઈ હતી. સ્ટીમરો ડૂબી ગઈ હતી. માથે ખૂબ દેવું થઈ ગયું હતું. મહાત્મા પોતાની ગૂઢ શક્તિથી જોઈ શક્યા કે આના પ્રારબ્ધમાં હમણાં ખોટ જ છે. પાંચ-છ વર્ષ આવું જ ચાલશે. તેનાં પાપકર્મનો ઉદય થતો હતો. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ભાઈની પનોતી બેઠી હતી. છતાં મહાત્માએ કહ્યું કે જો ભાઈ હમણાં તારો સમય ખરાબ છે. પણ એક ઉપાય છે. જો આ સામે બેઠેલા ભાઈને તારા ધંધામાં ભાગીદાર બનાવે તો તારો ધંધો સારો ચાલવા માંડશે.
પેલા વેપારીએ મહાત્માની વાણીમાં શ્રદ્ધા રાખી, પેલા ભાઈને ભાગીદાર બનાવ્યા. આ બીજા ભાઈ પાસે પૈસા નહિ, છેવટે શુકનનો એક રૂપિયો લઈ સ્ટેમ્પ પેપર પર નક્કી કર્યું કે જે કંઈ નફો થાય તેમાં તમારો ભાગ ૨૫ ટકા રહેશે. હવે વેપારી ભાઈનો ધંધો તો ત્રણ વર્ષમાં ખૂબ જ સારો ચાલ્યો. બે-ત્રણ સ્ટીમરો ખરીદી, અઢળક પૈસા આવ્યા, પણ વેપારીભાઈને પેલો બીજો ભાગીદાર આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યો. થયું કે બધી મહેનત, શક્તિ મારી, જ્યારે આને તો બેઠાં બેઠાં જ ભાગ લેવાનો ! ભાગીદારીના લગભગ દોઢથી બે કરોડ ચૂકવવાના આવ્યા. અલબત્ત, પોતાને તો આનાથી ઘણો બધો નફો થયો હતો છતાં એક રૂપિયાના રોકાણના બદલામાં આટલા બધા રૂપિયા શી રીતે અપાય ? થયું કે મહાત્માજીએ મને ખોટે પાટે ચડાવી દીધો. ભાગીદારને રકમ ચૂકતે કરી ભાગીદારી નાબૂદ કરી દીધી, પણ વિધિની કરામત જુઓ. જે વેપાર સરસ ચાલતો હતો, જેમાં લાખોનું ભાડું મળતું હતું તેમાં તરત જ ખોટ આવી. બે મહિનાની અંદર એક સ્ટીમર અને બીજા બે મહિનામાં બીજી બે સ્ટીમરો ડૂબી ગઈ. વીમાનું પ્રિમિયમ પણ ભરાયું ન હતું.
હવે પેલા વેપારીભાઈ તો વળી પાછા સંતને મળવા આવ્યા. રોતાં-કકળતા કહ્યું કે બા૫જી આપના કહેવા પ્રમાણે કર્યું છતાં વેપારમાં તો પાછી ખોટ ઊભી છે. મહાત્માએ કહ્યું કે એ કેમ બને? પેલા બીજા ભાગીદારના નસીબમાં કરોડોની કમાણી છે, તમારા નસીબમાં અઢળક પુરુષાર્થનું બળ છે. મારી ગૂઢ શક્તિથી મેં તમારા બંનેનો સમન્વય કરાવી આપ્યો હતો એટલે આ વાત બને જ નહિ. અંતે વેપારીભાઈને પોતાની ભૂલ સમજાઈ. પેટછૂટી વાત સંતને કરી. સંતે કહ્યું કે 'સંશયાત્મા વિનશ્યતિ'.

~ આજ્ઞાચક્ર પુસ્તકમાંથી, લેખક વિભાકર આર. પંડયા  

No comments:

Post a Comment