વૃક્ષો સાથે વાતચીત

Tuesday, December 16, 2025

સુલતાનપુરની જ આ ઘટના છે. સખી-સમુદાય સાથે ખેતરમાં આંટા મારી નિર્મળા(મા આનંદમયી) વનરાજિમાં પ્રવેશી. ઘણી બધી જાતના ત્યાં નાનાં-મોટાં, ઊચાં-નીચાં, લીલાં-સૂક્કાં ઝાડ હતાં. એક વૃક્ષસમૂહ પાસે નિર્મળા આવીને અટકી અને ન સમજાય એવી રીતે એ વરતવા લાગી. એણે વૃક્ષે સાથે વાતો કરી, તેમનો સ્પર્શ કર્યો, વારંવાર માથું હલાવ્યું, હસી, ગંભીર થઈ અને વળી મૌન રહી. સખી સમુદાય સમજી ગયો કે નિર્મળા વૃક્ષો સાથે વાર્તાલાપ કરે છે. મનુષ્યજાતિની જેમ વૃક્ષાવલી સાથે એને નિકટનો નાતો છે અને તેથી જ તેમની સાથે એક થઈ સંવાદ કરે છે. એ બહેનોને એવું પણ લાગ્યું કે વૃક્ષો પ્રત્યુત્તર વાળે છે. આમ થોડી વાર થયું. ત્યાર બાદ એ છોકરીઓ ઘર ભણી ચાલવા લાગી. રસ્તામાં નિર્મળાને તેની બહેનપણીઓએ વૃક્ષો સાથેની વાતચીત અંગે પૂછ્યું. નિર્મળાએ ફક્ત એટલું કહ્યું કે એ વૃક્ષો જીવિત છે. કેટલાક તો સાધુ--સંત છે. આ જન્મે વૃક્ષ થયા છે. તેમણે મને બોલાવી હતી. તેમણે પોતાની વાત મને કરી. સખીઓ મોં ફાડી નિર્મળાની વાત સાંભળી રહી. કંઈ ગમ ન પડી.

~ મા આનંદમયીની આનંદયાત્રા, રણધીર ઉપાધ્યાય


---