દેવ-દેવીએાએ વિદાય લીધી
એક વાર મા આનંદમયીના અંતેવાસી ગુરુપ્રિયા દેવી અને અન્ય ભક્તો માની પાસે
એક આશ્રમમાં બેઠાં હતાં. માએ પોતાના શૈશવકાળની વાત કાઢી — "એક વાર
ખેવડામાં શારદાપૂજા અને દુર્ગાપૂજાનો ઉત્સવ ઉજવાતા હતો. હું ત્યારે સાવ
નાની હતી. પૂજાના આગલા દિવસે હું દાદીમા સાથે જમવા બેઠી. જમતા જમતાં મેં
ખુલ્લી આંખે જોયું કે દુર્ગા માતા અને અન્ય દેવ-દેવીઓ ઉત્સવના સ્થળેથી
વિદાય લે છે. જતી વખતે દુર્ગા માતાએ એટલું જ કહ્યું કે— “આ અનુષ્ઠાનમાં
અમુકના ઘરમાં સૂતકને સ્પર્શદોષ થયો છે. સંતાન-પ્રસવમાં પાળવામાં આવતા
સ્પર્શાસ્પર્શને નિયમ તૂટયો છે. આ સ્થળ અપવિત્ર થયું છે. અહીં અમારાથી રહી
શકાય તેમ નથી. અમે સૌ હવે પ્રસ્થાન કરીએ છીએ.” મેં આ બધું એકાગ્ર થઈ
સાંભળ્યું અને દેવ-દેવીઓને જતાં જોયાં. દાદીમાને આના વિષે કશું જ્ઞાન ન
હતું. એમણે મને સહેજ ધક્કો મારી કહ્યું —જમ ને! જમવા બેઠી છે કે આમતેમ
ડાફેડિયા ભરવા બેઠી છે?' મેં તેમને કંઈ જ કહ્યું નહિ. મૌન રહી.”
માની આ વાત સાંભળી પાસે બેઠેલા એક ભકતે કહ્યું—“મા, આ વાતને જરા વધારે સ્પષ્ટ કરોને!”
ત્યારે
મા બોલ્યાં—“જ્યાં નૈમિત્તિક કર્મ કરવામાં આવે છે ત્યાં સ્પર્શાસ્પર્શનું
અને પૂરી પવિત્રતા જાળવવાનું ધ્યાન રાખવું વિશેષ છે. અનુષ્ઠાન ઈત્યાદિમાં
સ્પર્શાસ્પર્શનો નિયમ પૂરેપૂર જરૂરી હોય છે. પાળવો જોઈએ.”
~ મા આનંદમયીની આનંદયાત્રા, રણધીર ઉપાધ્યાય
---