ચમત્કારિક સિદ્ધિ અને ભક્તિ
તેમણે [નાનાભાઈ] શ્રીમન્ નથુરામ શર્મા પાસે યોગ સાધેલો, અને કહેવાતું કે કાંઇક સિધ્ધિ પણ મેળવેલી. એક વાર મેં એમને ચમત્કારો વિષે પૂછયું ત્યારે કહે ‘ચમત્કારો નથી એવું ન કહેવાય, પણ તેનું મહત્વ શું ? માણસને ગોળીથી ઘાયલ કરો કે મૂઠ મારીને ઘાયલ કરો, તેમાં ફેર શું ? મારામારી માટે એક નવું શસ્ત્ર ઉમેર્યું. મૂળ વાત ચિત્તશિદ્ધિ અને ચિત્તના ઊર્વીકરણની છે. તે તો આવા યોગ વિના પણ થઈ શકે. બાપુએ મને એક વાર પ્રાણાયામ શીખવવા કહેલું, ત્યારે મેં તેમને લખ્યું કે આ પ્રાણાયામ વગેરે તો અમારા જેવાની ભટકતી ચિત્તવૃત્તિને ઠેકાણે લાવવા માટે છે. આપ તો માળા હાથમાં લ્યો અને ચિત્ત એકાગ્ર થઈ જાય; રામમય બની જાય ! ત્યાં યોગનું કામ શું ? આપણા ગામડિયા સંતોએ ભક્તિની વાત કરી યોગને પરાજિત કરેલ છે.'
~ 'સદ્ ભિઃ સંગઃ' પુસ્તકમાંથી, મનુભાઈ પંચોળી "દર્શક"
---