જગત એક રમતનું મેદાન
આ જગત એક રમતનું મેદાન છે. જ્યારે અસુરી તત્વોનો ત્રાસ અસહ્ય બને છે, ત્યારે માં આ મેદાનમાં ઉતરે છે. પણ ક્યારે? જ્યારે એને અંતઃકરણની પુકાર સંભળાય છે, જ્યારે એને એના દયાળુ, નિર્મળ, અને પ્રિય બાળકો બોલાવે છે. વળી, માં એકલાં નથી આવતાં. સાથે પોતાના સખા, બાળકો, પોતાના અંશોને પણ આહવાન આપે છે, સાથે આવવા.
અહીં માં એટલે ફક્ત માતાજી નહીં પણ પરમ દિવ્ય શક્તિ.
ભગવાન રામ સાથે લક્ષ્મણ, ભરત, રિપુદમન, વીર હનુમાન, સુગ્રીવ, જાંબુવાન, નલ-નીલ, અંગદ, અને બીજા અનેકનો વિશાળ વૃંદ આવ્યો હતો. ભગવાન કૃષ્ણ સાથે બલરામ, અર્જુન અને ભીમ સહિત પાંચે પાંડવો, સુદામા, ઉદ્ધવ સહિત વિશાળ વૃંદ આવ્યો હતો.
ક્યારેક બધાં અલગ અલગ આવે છે, જેમકે અઢાર અને ઓગણીસમી સદીનું સંત વૃંદ જેમાં રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ થી માંડીને રમણ મહર્ષિ, તૈલંગ સ્વામી, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્રી અરવિંદ, શ્રી માં, પંડિત ગોપીનાથ કવિરાજ, માં આનંદમયી, અને બીજા ઘણાં સંતો અને પરમ આત્માઓ આવ્યા હતાં, જ્યોતને ચાલુ રાખવાં અને વધુ સુવાસથી ફેલાવા.
શું લાગે છે તમને? અત્યારે એ વૃંદ રમત મેદાનમાં હશે? તો હશે તો માં પણ આવશે?
---