ભગવાનની કરુણાદૃષ્ટિ

Friday, October 17, 2025

(પંડિત ગોપીનાથ) કવિરાજના મનનું ઘડતર કરવામાં આ (શિવરામ-કિંકર) મહાત્માની યોગ-સિદ્ધિ, સ્વતંત્ર વૃત્તિ, તેમની અનન્ય રામભક્તિ અને તેમના અગાધ જ્ઞાનનો ઘણો મોટો ફાળો છે. તેમના અનેક શિષ્યો હતા. તેમાં સ્વામી અભેદાનંદની પણ ગણના થાય છે. કવિરાજ લગભગ સાત વરસ તેમના સંપર્કમાં રહ્યા (૧૯૧૧-૧૯૧૭). 

એક વાર ભક્તિના મહિમાનું વર્ણન કરતાં પોતાના જીવનમાં બનેલા એક પ્રસંગની વાત કવિરાજને કહેવા લાગ્યા, “હું કોઈની પાસે ક્યારેય માગતો નથી. તેમ જ મારી પાસે મારી પોતાની કંઈ મિલકત નથી. તોપણ મારી આજીવિકા ચાલે છે. ઈશ્વરની એવી જ ઇચ્છા હોય એમ લાગે છે. એક દિવસ હું વરાહનગરમાં અભેદાનંદને વેદાંત શીખવતો હતો. એટલામાં એક પોસ્ટમેને ઈન્સ્યુઅર્ડ કવર મારા હાથમાં મૂક્યું. મેં તે કવર ઉઘાડડ્યું. અંદર ત્રીસ રૂપિયા અને પત્ર હતો. મેં કાગળ વાંચ્યો. વાંચ્યા પછી મારી આંખમાં આંસુ આવ્યાં. અભેદાનંદને ખૂબ આશ્ચર્ય થયું. તેણે પૂછયું : 'શી વાત છે, મહારાજ?' મેં ખુલાસો કર્યો, 'પ્રમદાદાસ મિત્ર નામના એક માણસે મને ૩૦ રૂપિયા મોકલ્યા છે. સાથે એક પત્ર પણ મોકલ્યો છે. પત્રમાં લખ્યું છે કે ' ત્રણ દિવસ પહેલાં મને સ્વપ્નમાં ભગવાન શંકરે દર્શન દીધું, અને કહ્યું કે આજે ત્રણ દિવસથી તું મને જે મહાનૈવેધ આપે છે તે હું લેતો નથી. મારો ભક્ત શિવરામ-કિંકર વરાહનગરમાં આજે ત્રણ દિવસથી માત્ર બિલ્વપત્ર ખાઈને જ રહે છે.' અને સ્વપ્નમાં જ તેમણે મને આપનું સરનામું આપ્યું. એ સરનામે તમને ૩૦ રૂપિયા મોકલું છું, તેનો સ્વીકાર કરશો. શિવરામ-કિંકર મહાશયે આગળ એમ કહ્યું કે હું ખાતો નથી તેની કોઈને ખબર નહોતી. 

પોતાના ભક્ત ઉપર પરમેશ્વરની કેટલી કરુણાદૃષ્ટિ હોય છે તે જોઈને મારી આંખમાં આંસુ આવ્યાં.

~ સિદ્ધયોગીઓના સાન્નિધ્યમાં, ડૉ. ભગવતીપ્રસાદ સિંહ


---