પ્રવાસ: ભીમનાથ મહાદેવ મંદિર, સાવલી

Friday, July 11, 2025

ઘણાં સમયથી ભીમનાથ મહાદેવ મંદિર, સાવલી જવાની ઈચ્છા હતી. પણ, મેળ પડતો નહિ. કાલે જઈશ, પરમ દિવસે જઈશ, આવતાં અઠવાડિયે જઈશ, એમ કરતાં સૂરજ આથમતો હતો. પછી એમ જ નક્કી થઈ ગયું અને આ શનિવારે અમે બન્ને મામાં-ફોઈ નાં ભૈયું ઉપડ્યા - દ્વિ-ચક્રી લઈને.

પહેલેથી જ એવું નક્કી કર્યું હતું કે, શાંતિથી અને પ્રવાસનો આનંદ લેતા જવાનું છે, ભૂખ લાગે તો નાસ્તો કરી લેવાનો, બહુ ભૂખ લાગે તો જમી લેવાનું, થાકી જવાય તો આરામ કરી લેવાનો, અને જો કુદરતની કરામતવાળું પ્રાકૃતિક વાતાવરણ દેખાય તો છબિ લઇ લેવાની.  તો કે, એક કામ કરો રસ્તામાં રામાપીરનું મંદિર આવે છે ત્યાં દર્શન કરતાં જઈએ. ખૂબ સુંદર મંદિર હતું. અંદરની છબિ તો નાં લીધી પણ પ્રદિક્ષણા કરતાં કળા કરતો મોર જોવા મળ્યો અને એની છબિ ખેંચી લીધી. મંદિરનું વાતાવરણ શાંત હતું, ક્યારેક વ્યગ્રતા જેવું લાગે તો નિરાશ નહિ થાવ.


ત્યાંથી આગળ વધ્યા અને મહેમદાવાદ આવ્યું. મહેમદાવાદ ભગવાન ગણપતિનાં મંદિર માટે અહી ખૂબ પ્રખ્યાત છે. હજુ તો રસ્તો ગોતવાનું વિચારતાં જ હતા ત્યાં મંદિરનું પાટિયું દેખાણું અને ઇ બાજુ વળી ગયા. મંદિર દેખાવમાં ખૂબ જ સુંદર છે, અને બાળકોને પણ મજા આવે એવું છે. અહિં પણ અંદરની છબિ નાં લીધી પણ બહારથી એક ખેંચી લીધી.


ત્યાંથી આગળ વધ્યાં નડિયાદવાળા રસ્તે. વરસાદનું વાતાવરણ હતું અને આગલા દિવસે વરસાદ પડી પણ ગયો હતો એટલે રસ્તામાં ઉકળાટ તો ન હતો પણ ટાઢી ઠંડક અને આજુ બાજુની લિલોતરીના લીધે રસ્તાનો પણ નસો ચઢતો હતો.


નડિયાદ આવુ આવુ હતું અને પૂજ્યશ્રી મોટા યાદ આવ્યાં. એમનાં હરિ ૐ આશ્રમે પણ જવાની ઈચ્છા ઘણાં સમયથી દબાવીને બેઠો હતો. એટલે નડિયાદ પોચતાં આ લોભને રોકી ના શક્યો. અમારાં નશીબ પણ બળવાન હતાં કે, આશ્રમ નજીકમાં જ હતો, થોડાં સમયમાં અંતરે. આશ્રમ સાદગીથી પરિપૂર્ણ અને વાતાવરણ ખૂબ જ મનભાવક. ના કોઈ ભભકો કે ઘોંઘાટ. અરે તમને બહારનાં કોઈ ખાસ આવાજ જ ના આવે અને મૌન ચારે તરફ.


પૂજ્યશ્રી મોટાની અમુક વસ્તુઓ યાદગીરી રૂપે સાચવી રાખી છે, એના એકવાર દર્શન કરી તમે કૃતાર્થ અનુભવશો.

આશ્રમથી થોડી પુસ્તકો લીધી અને એમનું સામાયિક પણ બંધાવ્યું. જો હરિ ભજનની ઈચ્છા હોય કે તણાવવાળા જીવનથી કંટાળ્યા હોય તો, ત્યાં મૌન માટે જઈ શકતો છે - ૭ દિવસ માટે. પેલાથી કહી તારીખ નક્કી કરી ને જવું પડે છે. તદુપરાંત કેટલાંક સામાન્ય નિયમોનું પાલન કરવું પડે છે અને પોતાનામાં ખોવાય જવાનું. આશ્રમનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકાય.


પાછાં ત્યાંથી ઉપડ્યા સાવલીના રસ્તે. વચ્ચે વચ્ચે ડાકોરના પાટિયાં આવતાં અને રણછોડરાયજીનાં દર્શન નો લોભ જાગતો પણ સમય અમારાથી ઝડપી ચાલતો હતો, કેમકે અમે અને થોડું કીધું હતું અમારાં સાથે આવાનું! છેક આગળ જતાં રસ્તાના બે ફાંટા પડ્યા, એક સાવલી તરફ અને એક ડાકોર તરફ. સમય થઈ ગયો હતો એટલે રણછોડરાયજીના દર્શન ના થાત એટલે અમે સાવલીનો રસ્તો પકડ્યો.



સાવલી થોડું દૂર હશે ત્યાંરે ધીમો-ધીમો વરસાદ ચાલુ થઇ ગયો. પલળાય એવો નહિ અને હાથપગ ધોવાય જાય એવો. સાવલી પહોંચી ભીમનાથ મહાદેવના દર્શન કર્યાં અને સ્વામીજીની સમાધિના. ગર્ભગૃહમાં જઈને પાસે શાંતિથી બેસી ને દર્શન કરતા મન ભરી આવ્યું અને એક ઉકળાટ શાંત થયો હોય એમ લાગ્યું. મંદિર ખુબ સુંદર બનાવ્યું છે અને મેં જોયેલા મંદિરોમાં બધાથી અલગ લાગ્યું. દક્ષિણેશ્વરની યાદ આવી ગઈ. વળી ત્યાં રામકૃષ્ણ પરમહંસની સુંદર પ્રતિમા પણ છે.


ત્યાંથી પણ થોડા પુસ્તકોની ખરીદી કરી એમાં પણ 'જિજ્ઞાસુ ની ડાયરી'ની તો 3 નકલો લીધી. જો કોઈને જોતી હોય તો ભેટ રૂપે આપવામાં આનંદ અનુભવીશ પણ એને એક ધાર્મિક ગ્રંથની જેમ જ સાચવવી.


સમય હતો એટલે ત્યાંથી ધાબાડુંગરી જવાની ઈચ્છા થઇ. ધાબાડુંગરીમાં પણ સ્વામીજી એ મંદિરને બંધાવ્યું છે. ધાબાડુંગરી જવાના રસ્તાનું વર્ણન નથી કરતો. છબી જોવીને જ અંદાજો મારવો રહ્યો.



ધાબાડુંગરી થોડું જ દૂર હશે ત્યાં પાછો એવો જ ધીમો ધીમો વરસાદ ચાલુ થયો. ધાબાડુંગરી સામે પહાડો છે, વાદળા એમાંથી નીકળતાં હતા અને મજાનું આંખો માટે જોવાલાયક  દ્રશ્ય બનાવતાં હતાં.

ધાબાડુંગરીમાં માં અંબા, માં લક્ષ્મી, માં સરસ્વતી, માં મહાકાળી , અને માં દુર્ગા/ચામુંડા ની પ્રતિમાઓ સ્થાપિત છે. પ્રતિમાઓ એટલી સુંદર અને એ રીતે સ્થાપિત કરી છે કે જો તમારે સાધનામાં આગળ વધવાની ઈચ્છા હોય તો ધાબાડુંગરી શ્રેષ્ઠ જગ્યા છે. સ્વામીજીને મૂર્તિઓ અને સ્થાપત્યનું બહુ ઊંડું જ્ઞાન હતું. તમે ભીમનાથ મહાદેવનું મંદિર અને ધાબાડુંગરી જોશો એટલે ખ્યાલ આવીજ જશે. 


ધાબાડુંગરીમાં કેદારનાથ મહાદેવના દર્શન અંદર ગર્ભગૃહમાં બેસીને તો ના થયા પણ  દૂરથી પણ અહોભાગ્ય લાગ્યું અને સોમનાથ મંદિર યાદ આવી ગયું.

મોડું થઇ ગયું હતું એટલે ડાકોર જવાનું માંડી વળ્યું અને ઘર ભણી વાટ પડકી. વરસાદ મૂસળધાર ચાલુ થયો. અમે નર્મદા કેનાલના કિનારે કિનારે પ્રકૃતિમાં આગળ વધતા રહ્યા.


---