દેવ-દેવીએાએ વિદાય લીધી
એક વાર મા આનંદમયીના અંતેવાસી ગુરુપ્રિયા દેવી અને અન્ય ભક્તો માની પાસે
એક આશ્રમમાં બેઠાં હતાં. માએ પોતાના શૈશવકાળની વાત કાઢી — "એક વાર
ખેવડામાં શારદાપૂજા અને દુર્ગાપૂજાનો ઉત્સવ ઉજવાતા હતો. હું ત્યારે સાવ
નાની હતી. પૂજાના આગલા દિવસે હું દાદીમા સાથે જમવા બેઠી. જમતા જમતાં મેં
ખુલ્લી આંખે જોયું કે દુર્ગા માતા અને અન્ય દેવ-દેવીઓ ઉત્સવના સ્થળેથી
વિદાય લે છે. જતી વખતે દુર્ગા માતાએ એટલું જ કહ્યું કે— “આ અનુષ્ઠાનમાં
અમુકના ઘરમાં સૂતકને સ્પર્શદોષ થયો છે. સંતાન-પ્રસવમાં પાળવામાં આવતા
સ્પર્શાસ્પર્શને નિયમ તૂટયો છે. આ સ્થળ અપવિત્ર થયું છે. અહીં અમારાથી રહી
શકાય તેમ નથી. અમે સૌ હવે પ્રસ્થાન કરીએ છીએ.” મેં આ બધું એકાગ્ર થઈ
સાંભળ્યું અને દેવ-દેવીઓને જતાં જોયાં. દાદીમાને આના વિષે કશું જ્ઞાન ન
હતું. એમણે મને સહેજ ધક્કો મારી કહ્યું —જમ ને! જમવા બેઠી છે કે આમતેમ
ડાફેડિયા ભરવા બેઠી છે?' મેં તેમને કંઈ જ કહ્યું નહિ. મૌન રહી.”
માની આ વાત સાંભળી પાસે બેઠેલા એક ભકતે કહ્યું—“મા, આ વાતને જરા વધારે સ્પષ્ટ કરોને!”
ત્યારે
મા બોલ્યાં—“જ્યાં નૈમિત્તિક કર્મ કરવામાં આવે છે ત્યાં સ્પર્શાસ્પર્શનું
અને પૂરી પવિત્રતા જાળવવાનું ધ્યાન રાખવું વિશેષ છે. અનુષ્ઠાન ઈત્યાદિમાં
સ્પર્શાસ્પર્શનો નિયમ પૂરેપૂર જરૂરી હોય છે. પાળવો જોઈએ.”
~ મા આનંદમયીની આનંદયાત્રા, રણધીર ઉપાધ્યાય
---
વૃક્ષો સાથે વાતચીત
સુલતાનપુરની જ આ ઘટના છે. સખી-સમુદાય સાથે ખેતરમાં આંટા મારી નિર્મળા(મા આનંદમયી) વનરાજિમાં પ્રવેશી. ઘણી બધી જાતના ત્યાં નાનાં-મોટાં, ઊચાં-નીચાં, લીલાં-સૂક્કાં ઝાડ હતાં. એક વૃક્ષસમૂહ પાસે નિર્મળા આવીને અટકી અને ન સમજાય એવી રીતે એ વરતવા લાગી. એણે વૃક્ષે સાથે વાતો કરી, તેમનો સ્પર્શ કર્યો, વારંવાર માથું હલાવ્યું, હસી, ગંભીર થઈ અને વળી મૌન રહી. સખી સમુદાય સમજી ગયો કે નિર્મળા વૃક્ષો સાથે વાર્તાલાપ કરે છે. મનુષ્યજાતિની જેમ વૃક્ષાવલી સાથે એને નિકટનો નાતો છે અને તેથી જ તેમની સાથે એક થઈ સંવાદ કરે છે. એ બહેનોને એવું પણ લાગ્યું કે વૃક્ષો પ્રત્યુત્તર વાળે છે. આમ થોડી વાર થયું. ત્યાર બાદ એ છોકરીઓ ઘર ભણી ચાલવા લાગી. રસ્તામાં નિર્મળાને તેની બહેનપણીઓએ વૃક્ષો સાથેની વાતચીત અંગે પૂછ્યું. નિર્મળાએ ફક્ત એટલું કહ્યું કે એ વૃક્ષો જીવિત છે. કેટલાક તો સાધુ--સંત છે. આ જન્મે વૃક્ષ થયા છે. તેમણે મને બોલાવી હતી. તેમણે પોતાની વાત મને કરી. સખીઓ મોં ફાડી નિર્મળાની વાત સાંભળી રહી. કંઈ ગમ ન પડી.
~ મા આનંદમયીની આનંદયાત્રા, રણધીર ઉપાધ્યાય
---
પૂર્વજન્મની વાત
જ્યારે (આનંદમયી મા)માની
ઉંમર પચાસ વર્ષની હતી ત્યારે કનખલ આશ્રમમાં આરામ કરતાં એક દિવસ શિષ્ય
સમુદાય સમક્ષ માએ આધ્યાત્મિક વિષયની ચર્ચા શરૂ કરી. દરમિયાન એક ભકતે માને
પ્રશ્ન કર્યો – “મા, ગત જન્મમાં આપ શું હતા ?”
માએ તરત જવાબ આપ્યો – “આ મારો પહેલો જન્મ છે.”
~ મા આનંદમયીની આનંદયાત્રા, રણધીર ઉપાધ્યાય
---