દયા અને વિષાદ
ચાલતી ટ્રેને ચડ્યો. બારણાંને ચાવી હતી એટલે મહામુસીબતે બારી વાટે અંદર
ગયો. થોડી વારમાં ગાર્ડ આવ્યો. નમ્રપણે મેં બચાવ કર્યો. જતી વેળા તેણે
જણાવ્યું કે ધીસ ઇઝ પ્રોસિક્યુશન. બોલ્યા પ્રમાણે કરશે એવી બીક પેઠી. વડાળ
આવ્યું. ગાર્ડે મને બોલાવ્યો અને જૂનાગઢની ટિકિટ લેવરાવી. ન તો
પ્રોસિક્યુશન, ન ડબલ ચાર્જ. રેલવેના સહવાસથી ક્રૂર અને કઠોર બનેલો પુરુષ
આટલો દયાળુ બની ગયો! આવા બનાવો અનુભવી હું દિગ્મૂઢ બનું છું, વિસ્મય પામું
છું અને વારંવાર એ ગૂઢ શક્તિને વિચારું છું.
સંકટ વેઠી ચાલતી ગાડીએ
ચડી જવાની મૂર્ખાઈ મેં ન કરી હોત તો સારું થાત એ વિચાર આખો દિવસ ડંખતો
રહ્યો, પરંતુ સંસારની સંપત્તિઓ અને લાભોનું દબાણ નબળા હૃદયને કેવું
નિર્માલ્ય બનાવી દે છે! આંહીની આશાઓ, ધાસ્તીઓ અને વિકટ સંજોગો મારી નાની
પાંખોને કેવી ઘાતકી રીતે છેદી નાખે છે એ તો મારું મન જાણે છે.
આપણને
ઘણી વાર સ્વપ્નાં આવે જાણે આપણું વહાલામાં વહાલું સદાને માટે આપણાથી જુદું
પડ્યું હોય. એ સ્વપ્નની વેદના કેવી તીક્ષ્ણ હોય છે! જાગૃતિમાં પણ મને એવાં
સ્વપ્નાં નજરે પડયાં છે. આવી સ્વપ્નવતી ઘડીઓની અંદર જ મને મારી અનાથતાનું
ભાન થાય છે. અસંખ્ય આશા, સુખ અને આનંદથી ભરેલી આ દુનિયાની વચ્ચે પણ હું
અરણ્યમાં એકલો આક્રંદ કરતો હોઉં એવી કલ્પના મને આ સમયે થઈ આવે છે. એવું થાય
તો મારું કોણ, મારા પ્રભુ!
~ ઝવેરચંદ મેઘાણી, અંતર-છબિ પુસ્તકમાંથી
---