સામુદાયિક ધ્યેયનો અભાવ
ઘણું લાંબા વખતથી આપણા બધાંનું મળીને એક જ એવું ઉદાત્ત જીવનધ્યેય આપણી દૃષ્ટિ સામે કશું જ રહ્યું નથી. બીજાં પ્રાણીઓ જેમ પોતપોતાની વ્યક્તિગત ઇચ્છાઓને કારણે છે છે અને પોતાની જરૂરિયાતો પૂરી કરવાના વ્યક્તિગત પ્રયત્નમાં આખી જિંદગી પસાર કરે છે, લગભગ તે જ સ્થિતિ આપણે મનુષ્ય હોવા છતાં આજે આપણી થયેલી છે. આપણું સમાજમાં દરેક યુગમાં વિદ્વાનો હતા, પંડિતો હતા, મહાન સંતપુરુષો હતા; ધનવાન, ઐશ્વર્યવાન પુરુષો હતા; એકથી એક ચડિયાતા એવા બળવાન, રણશુરા અને ધુરંધર યોદ્ધાઓ હતા; વિલક્ષણ બુદ્ધિશાળી મુત્સદ્દીઓ હતા; પરંતુ બધાંએ મળીને પોતાની શક્તિ અને બુદ્ધિથી પ્રાપ્ત કરવાનું કોઈ પણ સામુદાયિક ધ્યેય આપણી સામે ન હતું. જે ધ્યેયથી બધાંને ધન્યતા લાગે, બધાંને સરખી જ કૃતાર્થતા અને ગૌરવ લાગે અને જે બધાંના સહિયારા પરિશ્રમ અને ઐક્ય સિવાય, એકબીજા માટે એકબીજાને સંતોષપૂર્વક અને સાચા દિલથી કરવા પડતા સ્વાર્થત્યાગ સિવાય પ્રાપ્ત થવું શક્ય નથી એવું કોઈ પણ જીવનધ્યેય આપણી પાસે રહ્યું ન હતું. તેનાં અનિષ્ટ પરિણામો આપણે ભોગવતા આવ્યા છીએ, અને આજે પણ ભોગવીએ છીએ. હજી પણ આપણે બધાંના એકત્રિત સદ્ગુણો ને સ્વાર્થત્યાગથી પ્રાપ્ત થનારું ઉદાત્ત ધ્યેય આપણે સ્વીકાર્યું ન હોવાથી આપણા બધાંની શક્તિમાં કે કતું ત્વમાં એકરસતા આવી શકતી નથી. આપણું બધાંમાં એકતા નિર્માણ થઈ બધામાં એક જ પ્રાણ સંચરવા લાગતો નથી. આપણા સાધુચરિત અને પુરુષાર્થી આગેવાનો આપણને સ્વાર્થત્યાગને અને ઐક્યનો ઉપદેશ કરી રહ્યા છે તોપણ હજી તે આપણા ચિત્તમાં જડ ઘાલતો નથી.
~ વિવેક અને સાધના પુસ્તક માંથી, લેખક કેદારનાથ