સર્વભૂતમાં નારાયણ

Saturday, February 14, 2026

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) - નરેન્દ્ર! તું શું કહે છે? સંસારી લોકો તો કેટલુંય બોલે! પણ જો, હાથી જ્યારે રસ્તામાં હોય, ત્યારે કેટલાંય પ્રાણીઓ તેની પાછળ પડે, પણ હાથી તેની સામું જુએ પણ નહિ. તારી જો કોઈ નિંદા કરે, તો તને કેવું લાગે?
 

નરેન્દ્ર - હું માનું કે કૂતરાં હાઉ હાઉ કરે છે.
 

શ્રીરામકૃષ્ણ (હસીને) – ના રે ના, એટલું બધું નહિ. (સૌનું હાસ્ય) ઈશ્વર પ્રાણી માત્રમાં છે. પણ સારા માણસોની સાથે હળવું મળવું ચાલે; જ્યારે નરસા માણસોથી દૂર રહેવું જોઈએ. એમ તો વાઘની અંદર પણ નારાયણ છે; એટલે કંઈ વાઘને ભેટી પડાય નહિ! (સૌનું હાસ્ય). જો એમ કહો કે વાઘ તો નારાયણ છે, તો પછી ભાગી શા માટે જવું? તેનો જવાબ એ કે જેઓ કહે છે કે ‘ભાગી જાઓ' તેઓ પણ નારાયણ છે, તો તેમની વાત કેમ ન સાંભળવી?
 

'એક વાત સાંભળો. એક જંગલમાં એક સાધુ રહેતો હતો. તેને અનેક શિષ્યો. તેણે એક દિવસે શિષ્યોને ઉપદેશ આપ્યો કે સર્વભૂતમાં નારાયણ છે, એમ જાણીને સૌને નમસ્કાર કરવા. એક દિવસ એક શિષ્ય હોમ માટે લાકડાં વીણવા જંગલમાં ગયો. એ લાકડાં વીણતો હતો એટલામાં બૂમ સંભળાઈ કે ‘જે કોઈ રસ્તામાં હો તે નાસી જજો, એક ગાંડો હાથી આવે છે!' આજુબાજુમાંથી બધા નાસી ગયા, પણ શિષ્ય નહીં! તેણે વિચાર્યું કે હાથી પણ નારાયણ છે, તો પછી નાસવું શા માટે? એમ વિચારીને તે ઊભો રહ્યો; અને નમસ્કાર વગેરે કરીને સ્તુતિ કરવા લાગ્યો. આ બાજુ મહાવત ઉપરથી બૂમો પાડી રહ્યો. છે કે ‘ભાગી જાઓ, ભાગી જાઓ!' તોય શિષ્ય હક્યો નહિ. છેવટે હાથી તેને સૂંઢમાં પકડી એક બાજુ ફેંકી દઈને ચાલ્યો ગયો. શિષ્ય લોહીલુહાણ અને બેભાન થઈને પડ્યો. રહ્યો.

આ ખબર આશ્રમમાં પહોંચતાં ગુરુ અને શિષ્યો તેને ઉપાડીને આશ્રમમાં લઈ આવ્યા, અને સારવાર કરવા લાગ્યા. થોડીવારે તેને ભાન આવ્યું ત્યારે કોઈએ તેને પૂછ્યું: 'હાથી આવે છે તે સાંભળવા છતાં તમે નાસી ગયા નહિ?' તે બોલ્યો, 'ગુરુદેવે કહ્યું છે કે નારાયણ જ માણસ, જીવ, જંતુ, બધું થઈ રહેલા છે. એટલે હાથી-નારાયણને આવતા દેખીને હું ત્યાંથી ખસ્યો નહિ.' ત્યારે ગુરુએ કહ્યું, 'બાપુ, હાથી-નારાયણ આવતા હતા એ ખરું, એ સત્ય; પણ મહાવત-નારાયણે તો નાસી જવાનું કહ્યું હતું ને? જો બધાંય નારાયણ છે તો પછી તેનું કહેવું કેમ સાંભળ્યું નહિ? મહાવત-નારાયણનું પણ સાંભળવું જોઈએ ને?' (સૌનું હાસ્ય)


‘શાસ્ત્રમાં કહે છે આપો નારાયણ; જળ નારાયણનું સ્વરૂપ છે! પરંતુ કોઈક જળ ભગવાનની પૂજામાં ચાલે; તો કોઈક જળથી હાથ-મોં ધોવાનું, વાસણ માંજવાનું, કપડાં ધોવાનું માત્ર ચાલે, પણ પીવામાં અથવા ઠાકોરજીની સેવામાં ન ચાલે. તેમ સાધુ, અસાધુ, ભક્ત અને અભક્ત - સૌના અંતરમાં નારાયણ છે, પણ અસાધુ, અભક્ત, દુષ્ટ માણસની સાથે વ્યવહાર રાખવો ચાલે નહિ. હળવું મળવું ચાલે નહિ. કોઈકની સાથે કેવળ મોઢાની વાતચીતનો જ વ્યવહાર પરવડે; તો વળી કોઈકની સાથે એ પણ ચાલે નહિ. એવા માણસથી દૂર રહેવું જોઈએ.'

~ શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી

---