ધૌમ્ય બાજોઠ પર બેસતાં ફરી કહે, 'એક શંકા હવે મટાડશો? યુદ્ધને વિષે આપ આટલા ઉત્સાહી છો તો નિઃશસ્ત્ર રહેવાની પ્રતિજ્ઞા કેમ કરી?' હસતાં હસતાં ઉમેર્યું, 'તો પછી અમને તેવું મન ન થાય?'
'એ મારું રહસ્ય છે પણ તમે પાંડવોના હિતસ્વી ને કુલગુરુ, તમને કહેવામાં અણઘટતું નથી. પહેલું તો એ કે હું નિઃશસ્ત્ર છું, નિષ્પક્ષ નથી.'
'એ સ્પષ્ટ છે.'
'બીજું, હું યુદ્ધ વિષે ઉત્સાહી નથી. પણ અન્યાયનિવારણ માટે ઉત્સાહી છું. આનંદ શેમાં છે તે તો તમે જાણો છો.' કહી દૂરથી આવતા વેણુ સૂરોમાં તેઓ ઘડીક તલ્લીન થઈ ગયા. પછી આગળ નિશ્વાસ નાખીને કહે, 'પણ એક વાર કૃષ્ણાની લજ્જાને આવરી છે. ફરી ફરી હું જ તે કાર્ય કરું તો તેના પતિઓનું ગૌરવ શું? અર્જુન, ભીમ આ યુદ્ધ જીતે તે મારી મનીષા છે. હું તેમનો સારથિ થાઉં. એ દહાડે તો તેઓ ધર્મદાસ હતા એટલે હું દોડી આવ્યો. કૃષ્ણાની લજ્જા રહી મારો મહિમા થયો પણ પાંડવો નષ્ટતેજ થયા.
'ધૌમ્ય કહે, 'ને સભા પણ.'
શ્રીકૃષ્ણ કહે, 'સભા હતી જ ક્યાં? ત્યાં તો ભીરુઓ ને સંશયાત્માઓનો શંભુમેળો હતો. તે સભા હોત તો કુરુક્ષેત્રની આ વેળા જ ન આવી હોત.'
~ કુરુક્ષેત્ર પુસ્તકમાંથી, લેખક: મનુભાઈ પંચોળી 'દર્શક'
No comments:
Post a Comment