શ્યામાચરણે પૂછયું કે સાંસારિક કાર્યવ્યસ્તતા વચ્ચે કઠોર સાધના કેવી રીતે કરી શકાશે એ વાત તેમને માટે અસંભવ જેવી પ્રતીત થઈ રહી છે. તેને માટે સમય ક્યાં મળશે?
બાબાજીએ કહ્યું : “ના, શ્યામાચરણ તમે ગૃહસ્થીમાં જઈ તો જુઓ. તમને ઘણો સમય મળશે. સમયાનુસાર તમારી બદલી કાશીમાં થઈ જશે અને તમે સુખી રહેશો. તમે સ્વયં ગૃહસ્થ જીવનમાં રહીને જ સાધના દ્વારા સિધ્ધિ પ્રાપ્ત કરશો ત્યારે તમારા આદર્શોનો સંસારીઓ સ્વીકાર કરશે. એ પણ જાણી લો કે કોઇ સંસારને ત્યાગી નથી શકતું. તેનાથી કોઈ કદી અલગ રહી નથી શકતું. મનુષ્ય ચાહે ત્યાં રહે, સંસાર તેની સાથે રહેશે. તે સિવાય સાંસારિક લોકોએ જ આ દુનિયાને આટલી સુંદર બનાવી રાખી છે, આટલો વૈભવવિલાસ આપી રાખ્યો છે. એ ન હોત તો પૃથ્વી આટલી સુંદર ન હોત. સાંસારિક જીવનને અભાવે ઇશ્વરની સૃષ્ટિ નષ્ટ થઈ જાત. બધા આ સંસારમાં જન્મ લે છે. ઈશ્વરની સાધના કેવળ સંસારત્યાગી કે વિરક્ત લોકોને માટે ન હોઇ શકે. જુઓ, હું સંન્યાસી હોવા છતાં જે પાત્રમાં જળ પીઉં છું તે પણ સંસારી વ્યક્તિનું જ બનાવેલું છે.” દયાશીલ બાબાએ વધુમાં કહ્યું: “આજે સંસારી મનુષ્ય ઇશ્વરસાધનાના વિષયમાં સાવ નિરુપાય છે. તમે સ્વયં સંસારમાં રહીને તેમને સાચો રસ્તો દેખાડશો. ભયની કોઈ વાત નથી, તમે ઘેર પાછા જાઓ. યથાસમયે અવારનવાર તમે મને જોઈ શકશો અને જ્યારે પણ તમે મને જોવાની ઇચ્છા કરશો, જોઈ શકશો. સંસારમાં સદ્દગૃહસ્થોની પ્રતિષ્ઠા થાય.” ત્યાર બાદ બાબાજીએ પાસે બેઠેલા થોડા લોકો તરફ સંકેત કરતાં કહ્યું : “તમારે આ લોકોને દીક્ષા આપવી પડશે. તમારે માટે જ આટલા દિવસ સુધી એમને રોકી રાખ્યા છે.”
~ પુરાણ પુરુષ યોગીરાજ શ્રી શ્યામાચરણ લાહિરી
No comments:
Post a Comment